મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તાજેતરમાં મેટ્રો રેલ પ્રોજેકટના કામોની હાથ ધરેલી સર્વગ્રાહી પ્રગતિ સમીક્ષા બેઠક દરમ્યાન મેટ્રો ટ્રેનને ગાંધીનગર સુધી લંબાવવાના કામોની દરખાસ્ત અને કેન્દ્ર સરકારે આપેલી મંજૂરી સંદર્ભમાં વિશદ ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી.
- અમદાવાદ મેટ્રો રેલને મહાત્મા મંદિર ગાંધીનગર સુધી લંબાવવાના પ્રોજેકટની કામગીરી જૂન-ર૦ર૦થી શરૂ થશે પ્રોજેકટ પાંચ વર્ષમાં પૂર્ણ કરાશે
- ૨૮.૨૬ કિલોમીટર લંબાઇના આ પ્રોજેકટ માટે પ્રથમ તબક્કાના ટેન્ડર નજીકના ભવિષ્યમાં ઇન્વાઇટ કરાશે
- મુખ્યમંત્રીશ્રીએ તાજેતરમાં બેઠક યોજી મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરીની પ્રગતિની હાથ ધરેલી સર્વગ્રાહી સમીક્ષા
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના એમ.ડી. શ્રી એસ. એસ. રાઠૌરે આ પ્રોજેકટ અંગેની વિગતો બેઠકમાં મુખ્યમંત્રીશ્રીને આપી હતી. તદ્અનુસાર, મોટેરા અમદાવાદથી મહાત્મા મંદિર ગાંધીનગર સુધીના કુલ ૨૮.૨૬ કિલોમીટર લંબાઇ ધરાવતા આ પ્રોજેકટના પ્રથમ તબક્કાના ટેન્ડર ટૂંક સમયમાં ઇન્વાઇટ કરવામાં આવશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગત તા. ૪ માર્ચ-૨૦૧૯ના રોજ આ પ્રોજેકટનો શિલાન્યાસ કર્યા બાદ જરૂરી જીઓ ટેક્નિકલ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ટેન્ડર તૈયાર કરવાની કામગીરી પણ કરવામાં આવી હતી.

હવે, નજીકના ભવિષ્યમાં આ પ્રોજેકટના પ્રથમ તબક્કાના ટેન્ડર ઇન્વાઇટ કરાશે તેમ બેઠકની ચર્ચા દરમ્યાન જણાવાયું હતું. આ બેઠકમાં પ્રેઝન્ટેશન કરતાં મેટ્રો રેલના મેનેજીંગ ડાયરેકટરએ જણાવ્યું કે, અમદાવાદ મેટ્રો રેલને મહાત્મા મંદિર ગાંધીનગર સુધી લંબાવવાના હેતુથી ગુજરાત સરકારે રજૂ કરેલી રૂ. ૫૩૮૪.૧૭ કરોડની દરખાસ્તને ગત ફેબ્રુઆરી-૨૦૧૯માં ભારત સરકારે મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેકટ પાંચ વર્ષમાં પૂર્ણ કરવા પણ મંજૂરી પત્રમાં જણાવવામાં આવ્યું છે.
મોટેરાથી મહાત્મા મંદિર ગાંધીનગર સુધીના આ મેટ્રો રેલ પ્રોજેકટની બાંધકામ કામગીરી જૂન-ર૦ર૦માં શરૂ થશે અને માર્ચ-ર૦ર૪માં તે પૂર્ણ કરવાનું આયોજન છે તેમ પણ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે આ પ્રોજેકટને પરિણામે અમદાવાદ અને ગાંધીનગર ‘‘માસ રેપિડ ટ્રાન્સપોર્ટ’’ સુવિધાથી જોડાશે.
આથી બંને શહેરોના નાગરિકોને સરળ યાતાયાત સગવડ મળશે એટલું જ નહિ, વાયુ પ્રદૂષણ અટકશે અને માર્ગ પરનું ભારણ તથા અકસ્માતોનું પ્રમાણ ઘટશે. મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે.કૈલાસનાથન, શહેરી વિકાસ અધિક મુખ્યસચિવ મુકેશ પુરી, મુખ્યમંત્રીના અગ્રસચિવ એમ.કે.દાસ તેમજ મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીઓ જોડાયા હતા.(સી.એમ-પીઆરઓ/અરૂણ)
મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.